Site icon Revoi.in

ભાવનગર-સિહોર હાઈવે પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

Social Share

ભાવનગરઃ રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર સિહોર નજીક ઠેર ઠેર પડેલા ખાડાઓથી વાહનચાલકો ભારે પરેશાની ભાગવી રહ્યા છે. જેમાં વરતેજથી સિહોર સુધીનો હાઈવે ઉબડ-ખાબડ થઈ ગયો છે. અને ખાડાઓને કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. હાઈવેના અધિકારીઓ દ્વારા મોરમ નાંખી ખાડા પૂરવાની પણ તસ્દી લેવામાં આવતી ન હોવાથી વાહનચાલકોને માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્યો છે.

ઔદ્યોગિક દ્રષ્ટીએ જિલ્લામાં અગ્રસ્થાન ધરાવતા સિહોરને નબળી નેતાગીરીને કારણે અનેક પ્રશ્નોનો સામનો કરવે પડી રહ્યો છે.  જીઆઈડીસીમાં આવેલી સ્ટીલ રી-રોલીંગ મીલો અને નાના-મોટા અન્ય ઉદ્યોગોના કારણે સિહોરના હાઈવે માર્ગો 24 કલાક વાહનોથી ધમધમતા રહે છે. આ ઉપરાંત રાજકોટ આવવા-જવા માટે પણ આ જ રૂટ હોવાથી એસ.ટી. ઉપરાંત ખાનગી વાહનોની સતત અવર-જવર રહે છે. પરંતુ છેલ્લા ઘણાં મહિનાઓથી વળાવડથી રાજપરા ખોડિયાર મંદિર સુધીના હાઈવે પર નબળી કામગીરીના કારણે મોટા-મોટા ખાડા પડી ગયા છે. સિહોર શહેરમાં પોલીસ સ્ટેશનના ઢાળથી એસ.ટી. બસ સ્ટેન્ડ સુધીના રસ્તા પર કમરના મણકા ભાંગી જાય એટલા મોટા ખાડા પડી ગયા છે. વળી, રસ્તાની પહોંળાઈ ઓછી હોય અને મોટા વાહનોની અવર-જવરના કારણે નાના વાહનચાલકોને તો આ રસ્તા પરથી પસાર થવું મોતના મુખમાંથી બહાર આવવા જેવો અહેસાસ થાય છે. હાઈવે પર સિહોરથી વરતેજ સુધી  ઠેક-ઠેકાણે આવી જ દુર્દશા છે, આ પ્રશ્ન ઘણાં સમયથી હોય અગાઉ ચેમ્બરે પણ રજૂઆત કરી હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીનું જવાબદાર તંત્ર ગણકારતું નથી. નગરપાલિકાએ પ્રજાને પડતી મુશ્કેલી બાબતે હાથ ખંખેરી લીધા છે.