Site icon Revoi.in

રામલલાના આર્શિવાદથી જ નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બની રહ્યાં છેઃ હિમંતા બિસ્વા સરમા

Social Share

અયોધ્યાઃ અયોધ્યામાં ભાજપની હાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, દેશમાં 543 સીટો છે. ક્યાં જીતીશું, ક્યાંક હારીશું. પરંતુ નરેન્દ્ર મોદી પીએમ બની રહ્યા છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બની રહ્યા છે. તેઓ ચોથી વખત પણ પીએમ બનશે.

હિમંતા બિસ્વા શર્મા શનિવારે ભગવાન રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા આ દરમિયાન જ્યારે તેમને અયોધ્યામાં ભાજપની હાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ભગવાન રામના આશીર્વાદથી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બની રહ્યા છે. આ પહેલા જવાહરલાલ નેહરુ ત્રણ વખત પીએમ બન્યા હતા. પરંતુ મને ખુશી છે કે, મોદી ચોથી વખત પીએમ બનશે.

આ દરમિયાન હિમંતા બિસ્વા સરમાએ પણ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, દેશમાં અચાનક EVM અને ચૂંટણી પંચ પર પ્રેસ કોન્ફરન્સ બંધ થઈ ગઈ. કોઈને ખ્યાલ છે કે આવુ કેમ થયું ? હું આ અંગે ચિંતિત છું.

લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 293 બેઠકો જીતી છે. ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી છે. જો કે દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપ માત્ર 33 સીટો જીતી શકી હતી. જ્યારે NDAને 36 બેઠકો મળી છે. તે જ સમયે, ભારત ગઠબંધનને 43 બેઠકો મળી છે. એકલા સપાએ 37 સીટો જીતી છે.