Site icon Revoi.in

‘મોદી ત્રીજી વખત PM નથી બની રહ્યા…’, સંજય રાઉતનો દાવો

Social Share

મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે અને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ એલાયન્સે પણ સરકાર બનાવવાની આશા છોડી નથી. ગઠબંધનના તમામ નેતાઓ બહુમતીનો આંકડો મેળવવામાં સતત વ્યસ્ત છે. દરમિયાન, શિવસેના ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ઈન્ડી ગઠબંધન સરકારની રચના અને વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે મોટી વાત કહી છે. સંજય રાઉતનું કહેવું છે કે, જો રાહુલ ગાંધી નેતૃત્વ સ્વીકારે તો અમે તૈયાર છીએ. રાહુલ ગાંધી લોકપ્રિય નેતા છે.

સંજય રાઉતે કહ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનમાં પીએમ પદ માટે કોઈ લડાઈ નથી. તેમણે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “તેમને જે બેઠકો મળી છે તે ED અને CBIના કારણે છે. જ્યાં સુધી ઈન્ડિ એલાયન્સના PM ઉમેદવારની વાત છે, જો રાહુલ ગાંધી નેતૃત્વ સ્વીકારે તો અમે તૈયાર છીએ.” સંજય રાઉત અહીં જ ન અટક્યા. એનડીએ ગઠબંધન અને પીએમ મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, મોદીની સરકાર ત્રીજી વખત બની રહી નથી. અમારી પાસે પણ હવે 250 સીટ છે. અમારી પાસે સરકાર બનાવવાનો આદેશ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ચંદ્રબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશ કુમાર હંમેશા સરમુખત્યારશાહી સામે લડતા રહ્યા છે. કોઈપણ રીતે ભાજપને બહુમતી મળી નથી. ભાજપે સ્વીકારવું જોઈએ કે તે હારી ગઈ છે. હવે નરેન્દ્ર મોદીની ગેરંટીનું શું થયું… તેઓ હવે સરકાર ચલાવશે. ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારના સમર્થનથી.” અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં NDA ગઠબંધનને 294 બેઠકો, ભારત ગઠબંધનને 232 અને અન્યને 17 બેઠકો મળી છે. ટૂંક સમયમાં સૌથી મોટી પાર્ટી રાષ્ટ્રપતિને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.