Site icon Revoi.in

સંસદમાં હવે શપથ લેતી વખતે સૂત્રોચ્ચાર નહીં થાય, સ્પીકરે શપથગ્રહણનો નિયમ બદલ્યો

Social Share

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ ગૃહમાં ‘જય ભીમ, જય મીમ, જય તેલંગાણા’ અને અંતે ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવીને નવો વિવાદ સર્જ્યો હતો. ઓવૈસી ઉપરાંત અન્ય ઘણા સાંસદો પણ સંસદ સભ્યપદના શપથ લેતા પહેલા કે પછી ગૃહમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આને લઈને વિવાદ વધ્યા બાદ હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોની શપથવિધિને લઈને નિયમોમાં ફેરફાર કરીને તેને વધુ કડક બનાવ્યા છે. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શપથ લેતી વખતે કોઈપણ સભ્ય શપથ સિવાય અન્ય કોઈ શબ્દ કે અભિવ્યક્તિનો ઉપયોગ કરશે નહીં.

નવા નિયમ મુજબ હવે ભવિષ્યમાં શપથ લેનારા ચૂંટાયેલા સાંસદોએ બંધારણ હેઠળના શપથના ફોર્મેટ મુજબ શપથ લેવાના રહેશે. હવે સાંસદો શપથ લેતી વખતે ના તો સૂત્રોચ્ચાર કરી શકશે અને ન તો તેમના શપથમાં અન્ય કોઈ શબ્દ ઉમેરી શકશે. લોકસભાના સ્પીકરના નિર્દેશો અનુસાર, લોકસભામાં કાર્યપ્રણાલી અને કામકાજના નિયમોના નિયમ 389 (17મી આવૃત્તિ)માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નિયમ 389ની સૂચના-1માં ક્લોઝ-2 પછી નવો ક્લોઝ-3 ઉમેરવામાં આવ્યો છે. આ મુજબ, સભ્ય ભારતના બંધારણની ત્રીજી અનુસૂચિમાં હેતુ માટે નિર્ધારિત ફોર્મમાં જ શપથ લેશે. શપથના ઉપસર્ગ અથવા પ્રત્યય તરીકે કોઈએ કોઈ ટિપ્પણી કરવી નહીં અથવા અન્ય કોઈ શબ્દ અથવા અભિવ્યક્તિનો ઉપયોગ કરવો નહીં.