Site icon Revoi.in

હવે ખોટી રીતે સીમકાર્ડ ખરીદવુ પડશે ભારે, 3 વર્ષની સજા અને ભારે દંડ ચુકવવો પડશે

Social Share

નવી દિલ્હીઃ ટેલિકોમ સેક્ટરમાં મોટો બદલાવ આવ્યો છે. ‘ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023’ 26 જૂનથી દેશભરમાં લાગુ થઈ ગયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સંસદમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ હવે ભારતનો કોઈ પણ નાગરિક જીવનભરમાં 9 થી વધુ સિમ કાર્ડ મેળવી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આનાથી વધુ સિમનો ઉપયોગ કરતો જોવા મળશે તો તેને 50 હજારથી 2 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આટલું જ નહીં, છેતરપિંડી કરીને કોઈના આઈડી પરથી સિમ મેળવવા માટે 3 વર્ષની સજા થશે. સાથે જ 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

નવા ટેલિકોમ કાયદા હેઠળ સરકાર જરૂર પડ્યે નેટવર્કને સસ્પેન્ડ કરી શકશે. તે તમારા સંદેશાને અટકાવવામાં પણ સક્ષમ હશે. આ સિવાય જૂના કાયદામાં ઘણા ફેરફાર કરીને સરકારે ઘણી સત્તાઓ પોતાની પાસે રાખી છે. ઉદાહરણ તરીકે, કટોકટી દરમિયાન, સરકાર કોઈપણ ટેલિકોમ્યુનિકેશન સેવા અથવા નેટવર્કને નિયંત્રિત કરી શકે છે. આ સાથે સરકારની પરવાનગી બાદ ખાનગી મિલકતમાં પણ ટાવર લગાવવામાં આવશે. આ કાયદો (ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023) ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. તે દેશના 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટ અને ‘ધ ઈન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933’નું સ્થાન લેશે.

ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 માં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં કોઈપણ કટોકટી અથવા યુદ્ધના કિસ્સામાં, સરકાર કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્ક અને વ્યવસ્થાપનને જો જરૂરી હોય તો નિયંત્રણમાં લઈ શકશે. આ પછી સરકાર પાસે તેમને સસ્પેન્ડ કરવાની સત્તા પણ હશે. દેશના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર કોઈપણ સંદેશના પ્રસારણને રોકી શકે છે.

નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટમાં સરકારે સ્પામ કોલની સમસ્યાને ગંભીરતાથી લીધી છે. આ કારણે હવે ટેલિકોમ કંપનીઓએ લોકોને છેતરપિંડીથી બચાવવા માટે કડક પગલાં ભરવા પડશે. હવે ટેલિકોમ કંપનીઓએ કોઈપણ પ્રકારના પ્રમોશનલ મેસેજ મોકલતા પહેલા યુઝર્સની સંમતિ લેવી પડશે. આ સિવાય યુઝર્સની ફરિયાદો સાંભળવા માટે ટેલિકોમ કંપનીઓએ એક ઓનલાઈન મિકેનિઝમ બનાવવું પડશે, જેથી યુઝર્સ તેમની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે.