Site icon Revoi.in

આરટીઓના સર્વરમાં વારંવાર ખામી સર્જાતા હવે તો બધા જ કંટાળ્યા છે, કંઈક તો ઉકેલ લાવો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આરટીઓના સર્વરમાં વારંવાર ખામી સર્જાતી હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે. ડ્રાઈવિંગ ટેસ્ટથી લઈને વિવિધ કામો માટે અગાઉથી ઓનલાઈન એપોઈન્ટ મેળવીને જતાં અરજદારોને આરટીઓ કચેરીમાં પહોચ્યા બાદ જ ખબર પડે છે. કે, સર્વર બંધ છે. એટલે કામ-ધંધો છાડીને આવેલા કે નોકરી પર રજા રાખીને આવેલા અરજદારોને ધરમધક્કો થતાં નિરાશ થઈ રહ્યા છે. અમદાવાદમાં સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં સતત બીજા દિવસે પણ સર્વરમાં ખામી સર્જાવાના કારણે લાઈસન્સ સહિતની કામગીરી માટે આવેલા 250થી વધુ લોકોને ધક્કો પડ્યો હતો.

ગુજરાતભરની આરટીઓ કચેરીમાં કેટલાક મહિનાઓથી વારંવાર સર્જાતા સર્વરના ધાંધિયાથી માત્ર અરજદારો જ નહી પણ આરટીઓના અધિકારીઓ પણ કંટાળી ગયા છે. વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સર્વરના ધાંધિયાથી વાકેફ છે. છતાંયે કાયમી ઉકેલ માટે કોઈ જ પ્રયાસ કરાતો નથી. અમદાવાદની સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓ કચેરીઓમાં 20 દિવસ કામગીરી સરસ રીતે ચાલ્યા બાદ બે દિવસથી સર્વર ડચકાં ખાતાં-ખાતાં ચાલવાને કારણે જૂની પદ્ધતિ પર પાછા આવવું પડ્યું છે. સવારથી સર્વરમાં ખામી સર્જાતા, બંધ થવાને કારણે કામ અટક્યું હતું. આરટીઓના આ કાયમી ઉકેલ માટે વાહન વ્યવહાર કમિશનર કચેરી કોઈ જાતનો રસ દાખવતી નથી. અમદાવાદની ત્રણેય આરટીઓમાં લોકો પોતાનો કામ-ધંધો છોડીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આવતાં હોઇ, વાંરવાર હેરાનગતિના ભોગ બનવું પડે છે. સર્વરમાં ખામી સર્જાતાં આશરે 250 લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ કમિશનર પણ સર્વરના ધાંધિયાથી વાકેફ છે. પણ કોઈ કારણોસર કોન્ટ્રાક્ટર સામે પગલાં લઈ શકતા નથી. અને આરટીઓ અધિકારીઓ પણ કમિશનરને ફરિયાદ કરવાની હિંમત દાખવી શકતા નથી.