Site icon Revoi.in

ગાંધીનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

Social Share

ગાંધીનગરઃ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે વન ચેતના કેન્દ્ર, ગાંધીનગર ખાતે પર્યાવરણ અંગે જાગૃતિ સેમિનાર તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ  યુ. ડી. સિંઘે જણાવ્યું હતું કે, ચિંતાનો વિષય છે કે, આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ગરમીથી બચવા માટે નાગરિકો ઘરમાં પણ એ.સી.નો સહારો લઈ રહ્યાં છે. આપણે સૌએ તણાવ મુક્ત અને તંદુરસ્ત જીવન જીવવા માટે પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે. વૃક્ષો અવિરતપણે, વિનામૂલ્યે ઓકિસજન આપે છે. વૃક્ષો અને પર્યાવરણનું મહત્વ તમામ ધર્મના ધર્મગ્રંથોમાં પણ સમજાવવામાં આવ્યું છે. તે સમયે આવી કોઈ સમસ્યા નહોતી પરંતું તેઓ જાણતા હતા કે ભવિષ્યમાં સંશાધનની જરૂરિયાતની સામે વપરાશકર્તા વધશે ત્યારે પર્યાવરણની સમસ્યા વધશે. પર્યાવરણની સમસ્યા વધવાના કારણે દિવસે દિવસે કુદરતી આફતો પણ વધવા લાગી છે. આવી પરિસ્થિતિમાં દરેક નાગરીકે પર્યાવરણ પ્રત્યે પોતાનું વ્યવહાર અને વર્તન બદલવું જરૂરી છે.કુદરતી આફતોથી થતા નુકસાનથી બચવા માટે દરેક નાગરિકે પર્યાવરણ બચાવવા પોતાનું મહત્તમ યોગદાન આપવું જોઈએ તો જ આપણે પૃથ્વીને ગરમીથી બચાવી શકીશું. જો  આપણે પૃથ્વીને નહિ બચાવીએ તો પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી માનવો જ પોતાનું અસ્તિત્વ જોખમમાં મુકવા પાછળ જવાબદાર બનશે તેમ,તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ઝાયડસ ગ્રુપ ઓફ કંપનીના ઇ. એસ. જી. એડવાઇઝર  સુનીલ પારેખે જણાવ્યું હતું કે, આ વર્ષે લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટીફિકેશન અને ડ્રોર્ટ રેઝિલીયન્સની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજની જીવનશેલીથી પર્યાવરણને નુકસાનના કારણે વિશ્વએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક  નિત્યાનંદ શ્રીવાસ્તવ,  એ. પી. સિંઘ,  જયપાલ સિંઘ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન  આર. બી. બારડ સહિત વિવિધ મહાનુભાવો, અધિકારી-કર્મચારીઓ તથા પર્યાવરણ સાથે જોડાયેલી વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો.