Site icon Revoi.in

પોરબંદરના બરડા ડુંગરમાં શરૂ કરાશે ઓપન જંગલ સફારી

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અનેક પર્યટન સ્થળો આવેલા છે. ત્યારે પોરબંદર નજીક હરિયાળીથી હર્યોભર્યો બરડાનો ડુંગરનો પણ પ્રવાસન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. બરડાના જંગલમાં વનરાજોનો વસવાટ પણ શરૂ કરાયો છે. એકબાજુ દરિયો અને બીજી બાજુ જંગલ એમ આ વિસ્તાર કૂદરતી સૌંદર્યથી પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા પોરબંદર નજીક બરડા ઓપન જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 16 મી ઓક્ટોબરથી સંભવત સૌરાષ્ટ્રમાં વધુ એક ઓપન જંગલ સફારી શરૂ થઈ રહી છે. જે પર્યટન કોરિડોરમાં આવતા પ્રવાસીઓ માટે પ્રવાસનના એક નવા વિકલ્પ તરીકે પણ વિક્સાવવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રના પર્યટન કોરિડોર તરીકે સોમનાથથી લઈને દ્વારકા સુધીનો દરિયાઈ માર્ગ અને જૂનાગઢથી સાસણ અને પોરબંદર તરફના આ વિસ્તારમાં પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા પોરબંદર નજીક બરડા ઓપન જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે સંભવત 16 મી ઓક્ટોબરથી સાસણ, દેવળીયા, આંબરડી, ગીરનાર નેચર સફારી સહિત રાજ્યમાં આવેલા સફારી સાથે બરડા ઓપન જંગલ સફારી શરૂ થશે. તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

બરડા ઓપન જંગલ સફારી પ્રથમ વખત શરૂ થવા જઈ રહી છે. સાસણ અને દેવળીયાની માફક અહીં પ્રવાસીઓની માગને ધ્યાને રાખીને રાજ્યના વન વિભાગે દરરોજ સવાર અને સાંજ એમ 2 સમયે 15 કિલોમીટરના રૂટ પર 8 જીપ્સી ચલાવવાનો નિર્ણય કર્યો છે. બરડા ડુંગર વિસ્તાર વન્યજીવ ઇકોલોજીની દ્રષ્ટિએ પણ સૌરાષ્ટ્રના અન્ય ડુંગરો કરતા અલગ અસ્તિત્વ ધરાવે છે. અહીં કોઈ વાઈલ્ડ લાઈફ કે ફોરેસ્ટને લગતી કોઈ એક્ટિવિટી અત્યાર સુધી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને અસ્તિત્વમાં ન હતી. પરંતુ 16મી ઓક્ટોબરથી પર્યટન કોરિડોરમાં સામેલ પોરબંદરમાં બરડા ડુંગર વિસ્તારમાં ઓપન જંગલ સફારી શરૂ થાય છે. પોરબંદર વન વિભાગની ઓફિસેથી જંગલ સફારીમાં જવા માગતા પ્રત્યેક પ્રવાસીએ પરમિટ મેળવી લેવાની રહેશે.