Site icon Revoi.in

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, કટ્ટરપંથીઓએ 35 દુર્ગા પૂજા પંડાલોને નિશાન બનાવ્યાં

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલાની ઘટનાઓ અટકી રહી નથી. સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો દુર્ગા પૂજાનો તહેવાર પણ શાંતિથી ઉજવી શક્યા ન હતા અને કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલોને નિશાન બનાવવાની 35 ઘટનાઓ બની હતી. પોલીસે જણાવ્યું કે, દેશભરમાં દુર્ગા પૂજા પંડાલોમાં 35 અપ્રિય ઘટનાઓ બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં બાંગ્લાદેશના પ્રખ્યાત જેશોરેશ્વરી મંદિરમાં મા કાલીનો મુગટ ચોરીની ઘટના બની હતી. આ તાજ વડા પ્રધાન મોદીએ વર્ષ 2021માં બાંગ્લાદેશની તેમની મુલાકાત દરમિયાન મા કાલીની પ્રતિમાને અર્પણ કર્યો હતો. ઢાકાના પોલીસ મહાનિરીક્ષક મોહમ્મદ મોઈનુલ ઈસ્લામે જણાવ્યું કે, 1 ઓક્ટોબરથી દુર્ગા પૂજા પંડાલમાં 35 અપ્રિય ઘટનાઓ નોંધાઈ છે. આ કેસોમાં 11 FIR નોંધવામાં આવી છે અને 24 કેસ જનરલ ડાયરીમાં નોંધવામાં આવ્યા છે. પોલીસે આ મામલામાં 17 લોકોની ધરપકડ કરી છે.

આઇજીપી ઇસ્લામે ખાતરી આપી કે, પોલીસ પાસે ઘટનાઓ માટે જવાબદાર લોકોનો રેકોર્ડ છે અને કહ્યું કે આ ઘટનાઓમાં સંડોવાયેલા કોઈપણને બક્ષવામાં આવશે નહીં અને કાયદા મુજબ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ ગુરુવારે, અડધો ડઝન લોકોએ ઢાકાથી લગભગ 250 કિલોમીટર દક્ષિણપૂર્વમાં, ચિટાગોંગના જાત્રા મોહન સેન હોલમાં દુર્ગા પૂજા પેવેલિયનના સ્ટેજ પર ઇસ્લામિક ક્રાંતિનું આહ્વાન કરતું ગીત ગાયું હતું, જેનાથી વ્યાપક આક્રોશ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી ચર્ચા થઈ હતી અને બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટના અંગે IGPએ કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.