Site icon Revoi.in

સોમનાથની બુલડોઝર કાર્યવાહીમાં અરજદાર સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છેઃ સરકાર

Social Share

અમદાવાદઃ ગુજરાતના ગીર-સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહીના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન એક મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે આ જમીન તેને 1903માં આપવામાં આવી હતી. ગુજરાત સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો અને કહ્યું કે, આ જમીન સોમનાથ ટ્રસ્ટની છે. ટ્રસ્ટે તેને ઘણા સમય પહેલા સરકારને સોંપી દીધું છે. ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલી રહી હતી. અરજદાર ખોટા દાવા કરીને તેને સાંપ્રદાયિક રંગ આપી રહ્યાં છે.

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તે આ જમીનને હાલ પૂરતો પોતાની પાસે રાખશે. તે અત્યારે કોઈ ત્રીજા પક્ષને આપવામાં આવશે નહીં. આ નિવેદનને રેકોર્ડ પર લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલે કોઈ વચગાળાના આદેશની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટમાં પડતર અરજીઓની સુનાવણી ચાલુ રાખવી જોઈએ.

આ વર્ષે સપ્ટેમ્બરમાં સોમનાથ મંદિરની આસપાસ કથિત ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પટણી મુસ્લિમ સમુદાયે 1 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણા બાંધકામોના કથિત ગેરકાયદેસર તોડી પાડવાનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.

તિરસ્કારની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાના આદેશ બાદ મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. 1 ઓક્ટોબરના રોજ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે બુલડોઝર દ્વારા તોડી પાડવા સામેની અરજીઓની સુનાવણી કરી હતી. આ મામલાએ રાજકીય રંગ પણ લીધો હતો. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ કાર્યવાહીની નિંદા કરી હતી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.