Site icon Revoi.in

PM મોદી સોમવારે આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને 4800 કરોડના વિકાસ કામોની ભેટ આપશે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીતા.28મીને સોમવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાતની મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાત મૂહર્ત કરશે.

અમરેલી જિલ્લામાં  ₹ 705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેમજ જિલ્લાની ગાગડિયો નદી પર ₹35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ ₹20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન ₹2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) ના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વધુમાં, ₹1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.  ઉપરાંત ₹112 કરોડના કાર્યોનું ખાતમુહુર્ત અને ₹644 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસ કાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પાણી પુરવઠા યોજના ભાગ-2ના કામોના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે.

સૂત્રોના કહેવા મુજબ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ અન્વયે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ₹35 કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારત માતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના 4.50 કરોડ લીટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે, તેની પહોળાઈ પણ વધારવામાં આવી છે, અને ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે. તેના પરિણામે ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે.

વડાપ્રધાન મોદી અમરેલી ખાતે ₹2811 કરોડના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં ₹2185 કરોડના 4 વિકાસકાર્યોનું લોકાર્પણ અને  ₹626 કરોડના એક વિકાસકાર્યનું ખાતમુહુર્ત કરવામાં આવશે.