Site icon Revoi.in

નડિયાદમાં પોલીસ અને ફુડ વિભાગના દરોડા, કાળા મરીમાં ભેળસેળનું કૌભાંડ પકડાયુ

Social Share

ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ અને એસ.ઓ.જી. પોલીસ, નડિયાદની ટીમ ને મળેલ ખાનગી બાતમી ના આધારે  તા: 30-09-2024ના રોજ મે. જય અંબે સ્પાઇસીસ, સર્વે નં.434   ભાડીયા વિસ્તાર, મુ.પો. ડભાણ, તા. નડીઆદ, જી.ખેડા ખાતે શંકાસ્પદ રીતે કાળા મરીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલ હતો. પેઢી મે. જય અંબે સ્પાઇસીસ પાસે FSSAI નું લાઈસન્સ ધરાવતા ન હતા.

તપાસમાં જય અંબે સ્પાઈસીસ ગોડાઉનનાં ધંધાના માલિક ધીરેન વાસુદેવ પટેલ સ્થળ ઉપર હાજર રહ્યા હતા. અને તેઓને સ્થળ ઉપર જોવા મળેલા ધંધા અર્થે પૂછતા તેઓએ જણાવેલ કે તેઓ ધ્વારા કાળા મરીનું રો-મટીરીયલ લાવી તેની ઉપર ગુંદર પાવડર અને સ્ટાર્ચ પાવડરનો કોટીંગ કરી તેના ઉપર તેઓની પાસે રહેલા ઓઈલમાં પોલીશ કરી માલનું વજન વધારે પકડાય તે અર્થે ધંધો કરતા હતા આથી, તંત્ર દ્વારા માલિક ધીરેન વાસુદેવ પટેલની હાજરી માં કાળા મરી, સ્ટાર્ચ પાઉડર, ઓઈલ અને ગુંદર ના એમ કુલ – 5 (પાંચ) નમુના લેવામાં આવેલ જ્યારે બાકીનો આશરે 2600 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. 9 લાખ થી વધુ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.