Site icon Revoi.in

રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે નિધન

Social Share

બેંગ્લોરઃ રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે 4:50 વાગ્યે નિધન થયું છે. 5 જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ફિલ્મસિટી સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવશે. પરિવારના સભ્યો, મિત્રો અને શુભેચ્છકો ફિલ્મ સિટીના નિવાસસ્થાને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જાણીતા ઉદ્યોગસાહસિક રામોજી રાવ કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા. રામોજી રાવને આઇકોનિક મીડિયા બેરોન અને ફિલ્મ મોગલ કહેવામાં આવતા હતા. તેમનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. 

16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં જન્મેલા રામોજી રાવે વર્ષ 1962માં માર્ગદર્શી ફંડની શરૂઆત કરી હતી, જે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા અને અન્ય રાજ્યોમાં ગ્રાહકોને સેવા આપે છે. મધ્યમ-વર્ગીય ખેડૂત પરિવાર સાથે જોડાયેલા રામોજી રાવે 1969માં ખેડૂતો માટેનું સામયિક ‘અન્નદાતા’ શરૂ કરીને મીડિયા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેમણે એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. 1974 માં, તેમણે વિશાખાપટ્ટનમમાં Eenadu અખબાર શરૂ કર્યું અને મીડિયા ઉદ્યોગમાં ક્રાંતિ લાવી હતી. અખબારો મોડાને બદલે સૂર્યોદય પહેલા વાચકો સુધી પહોંચી ગયા. સરળ તેલુગુ ભાષાનો ઉપયોગ, સ્થાનિક સમાચારોના કવરેજમાં વધારો અને દરેક જિલ્લા માટે વિશેષ આવૃત્તિઓએ અખબારને વાચકોમાં અત્યંત લોકપ્રિય બનાવ્યું હતું.

કુદરતી આફતો પછી ઈનાડુ રિલીફ ફંડમાંથી એકત્ર કરાયેલા નાણાંથી ઘણા રાજ્યોમાં કાયમી મકાનો અને શાળાઓ બનાવવામાં આવી છે. ઈન્ટરનેટના આગમન સાથે Eenadu દ્વારા બનાવવામાં આવેલ ઘણા તેલુગુ શબ્દો તેલુગુ શબ્દભંડોળનો ભાગ બની ગયા છે. દૂરદર્શન પછી, ETV એ સેટેલાઇટ મનોરંજન ચેનલોમાંની એક હતી જેણે લોકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. ETV થોડા જ સમયમાં ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું. ETV એ પછી તરત જ કન્નડ, બંગાળી અને હિન્દી ભાષાઓ સહિત અન્ય ચેનલોમાં વિસ્તરણ કર્યું હતું.

રામોજી ફિલ્મ સિટીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી તરીકે ઓળખવામાં આવી છે. હૈદરાબાદની બહાર સ્થિત રામોજી ફિલ્મ સિટીમાં લગભગ તમામ ભારતીય ભાષાઓમાં ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. રામોજી રાવને 2016માં બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમણે વિવિધ યુનિવર્સિટીઓમાંથી અન્ય ઘણા પુરસ્કારો અને માનદ ડોક્ટરેટ પણ પ્રાપ્ત કર્યા.