- ગુજરાતમાં હવે ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમિતોને વિના મૂલ્યે સારવાર નહીં મળે
- હવે સરકાર દ્વારા અગાઉ નિર્ધારિત ચાર્જ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ચૂકવવો પડશે
- ખાનગી હોસિપટલમાં કોવિડની સારવાર માટે બેડ વધારાશે
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના પ્રવેશને એક વર્ષ પૂર્ણ થયું છતાં સ્થિતિ હજુ યથાવત્ છે. ગત વર્ષે ગુજરાતમાં કોરોનાના રાફડો ફાટ્યા બાદ સરકારે ટેસ્ટિંગથી લઇને સારવાર સુધીની તમામ સુવિધાઓ આપી હતી. જેમાં અત્યારસુધી ખાનગી હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવતી હતી. પરંતુ એખ વર્ષ પૂર્ણ થયા બાદ હવે સ્થિતિમાં ઉલટફેર થયો છે. કોરોનાના કેસ વધ્યા છે, પરંતુ હવે કોરોના સંક્રમિતોને ખાનગી હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર નહીં મળે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે કોરોનાના દર્દીઓએ પૈસા ચૂકવવા પડશે.
અગાઉ ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોર્પોરેશને પોતાના હસ્તક રાખ્યા હતા. જેના નાણાં AMC દ્વારા ચૂકવવામાં આવતા હતા. પરંતુ હવેથી ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીને સારવાર લેવી હશે તો નાણાં ચૂકવવા પડશે. આ વિશે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનના ડોક્ટર ભરત ગઢવીએ કહ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવેથી ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને નહીં મોકલે.
ખાનગી હોસિપટલમાં કોવિડની સારવાર માટે બેડ વધારાશે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી સરકારે અગાઉ નિર્ધારિત કરેલા જ ચાર્જની વસૂલાત કરાશે. તે ઉપરાંત કોરોના સંક્રમિતની સારવાર ખર્ચને લઇને કોઇ ખાનગી હોસ્પિટલ પકડાશે તો તેની વિરુદ્વ પણ અગાઉની જેમ જ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, શહેરમાં વધતા કેસોમાં સરકારની બેદરકારી કહેવું ખોટું છે. લોકોએ પણ સમજદારી નથી બતાવી, માસ્ક વગર લોકો ફરી રહ્યા છે, જે ઘાતક છે. હજુ એ ખબર નથી આપણને કે આ જૂનો જ સ્ટ્રેઈન છે કે નવો. જો આ નવો સ્ટ્રેઈન હશે તો ચિંતા વધશે, જો જૂનો જ સ્ટ્રેઈન હશે તો ખાસ વાંધો નહિ આવે. માસ્ક લોકો ફરજીયાત પહેરે, જો માસ્ક પહેરેલું હશે તો બચી શકાશે. માસ્ક વિના લોકો કોઈની સાથે વાતચીત પણ ના કરે એ જરૂરી છે.
(સંકેત)