1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુર નજીક 3 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટનો ભેદ ઉકેલાયોઃ 6 શખસો પકડાયા
પાલનપુર નજીક 3 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટનો ભેદ ઉકેલાયોઃ 6 શખસો પકડાયા

પાલનપુર નજીક 3 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટનો ભેદ ઉકેલાયોઃ 6 શખસો પકડાયા

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની થયેલી લૂંટનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી દીધો છે. પાલનપુર નજીક અમદાવાદના સીજી રોડ પર આવેલી ઋષભ જ્વેલર્સના કર્મચારી પાસેથી ત્રણ કરોડની કિંમતના સાના-ચાંદીના દાગીનાની લૂંટ કરીને ફરાર થયેલા 6  શખસોને નાકાબંધી કરી પાટણ પોલીસે ઝડપી પાડ્યા હતા. પાટણ પોલીસે લૂંટારૂ શખસો પાસેથી 3 કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીના પણ કબજે કર્યા છે. આરોપીઓ લૂંટને અંજામ આપવા માટે છેલ્લા બે મહિનાથી પ્લાનિંગ કરી રહ્યા હોવાનું પૂરપરછમાં આરોપીએ કબુલાત કરી હતી.

આ લૂટના બનાવની વિગતો એવી હતી કે, અમદાવાદના ઋષભ જ્વેલર્સના કર્મચારીઓ મંગળવારે કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઈ બનાસકાંઠા જિલ્લામાં વેચાણ કરવા માટે નીકળ્યા હતા. ફરિયાદી અશોક દેસાઈ સહિત ત્રણ કર્મચારીઓ કરોડો રૂપિયાના દાગીના કારની સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાં રાખ્યા હતા. ત્યાર બાદ અમદાવાદથી પાલનપુર અને પાલનપુરથી ડીસા ગયા હતા. જ્યાં અલગ અલગ જ્વેલર્સની મુલાકાત લીધી હતી. સાંજ પડતાં જ કર્મચારીઓ ડીસાથી અમદાવાદ પરત આવવા નીકળ્યા હતા. કર્મચારીઓ પોતાની કાર લઈ પાલનપુરના ચડોતર ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલી એક કોરોલા કારે ઓવરટેક કરી તેમની કારની આડે નાખી દીધી હતી. તેમાંથી ચાર શખસ ઊતર્યા હતા અને પોતાની સાથે બોલાચાલી કરી કારની અંદર ઘૂસી ગયા હતા. બે લૂંટારા પાછળની સીટ પર જ્યારે એક લૂંટારુ આગળની સીટ પર અને અન્ય એક લૂંટારો કાર ચલાવવા લાગ્યો હતો. ચાલુ કારે જ લૂંટારાઓએ છરા કાઢ્યા હતા અને કર્મચારીઓને કહ્યું હતું કે તમારી પાસે જે દાગીના છે એ અમને આપી દો, પરંતુ દાગીના ચોરખાનામાં પડ્યા હોવાના કારણે કર્મચારીઓ કંઈ ન હોવાની વાત કરી હતી, જેથી લૂંટારાઓએ કહ્યું હતું કે એકને મારીને ફેંકી દેવો પડશે, જેથી ભોગ બનનાર કર્મચારીઓ ડરી ગયા હતા અને બે ચોરખાના પૈકીના એક ચોરખાનામાં રહેલા 3 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના લૂંટારાઓએ કાઢી લીધા હતા, જ્યારે અન્ય એક ખાનામાં રહેલા દાગીના ત્યાં જ પડ્યા રહ્યા હતા. ત્યાર બાદ લૂંટારાઓએ તમામ કર્મચારીઓ પાસેથી તેમના મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા અને તેમની જે કોરોલા કાર હતી એમાં બેસી ફરાર થઈ ગયા હતા.

દરમિયાન ફરિયાદી અશોક દેસાઈએ એક રાહદારીને રોકી તેમના મોબાઈલમાંથી પોતાના શેઠને લૂંટ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને જોતાં તરત જ જિલ્લામાં નાકાબંધી કરી હતી અને પાડોશી જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી. લૂંટારાઓની કોરોલા ગાડી અંગે માહિતી મળતાં પાટણ પોલીસે કારની માહિતી તપાસ કરાવતાં વદાણી ખાતે એમ.ડી.ઓટોવાળાએ એક કોરોલા ગાડી GJ-24-AQ-6341ની ચૌધરી રોહિત દેવરાજભાઈને વેચાણ આપી હતી. આ ગાડી બાબતે તપાસ કરતાં રોડા ગામમાં ચૌધરી રોહિત દેવરાજભાઈની તપાસ કરતાં તે ઘરે હાજર મળ્યા નહીં. ત્યાર બાદ પોલીસે હ્યુમન અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવતાં હારીજ તાલુકાના રોડા અને કાતરા, સમીના પાલીપુર, સરસ્વતીના કિમ્બુવા અને એંદલામાંથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ, કાર, ચપ્પુ અને આરોપીઓ મળી આવ્યા હતાં. કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ માટે ઋષભ જ્વેલર્સના ભૂતપૂર્વ કર્મચારીએ જ ટિપ આપી હોવાનું બહાર આવ્યું છે. સાગર રબારી નામનો આરોપીએ બે મહિના પહેલાં ઋષભ જ્વેલર્સમાંથી નોકરી છોડી દીધી હતી. પેઢીના સેલ્સમેન કઈ રીતે કેટલા દાગીના લઈને વેચાણ માટે જતા હોય એ બાબતની તેને જાણકારી હતી. નોકરી છોડ્યા બાદ સાગરે અન્ય આરોપીઓ સાથે મળી લૂંટનું પ્લાનિંગ શરૂ કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code