1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ 17મી ઓક્ટોબરથી યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ 17મી ઓક્ટોબરથી યોજાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ 17મી ઓક્ટોબરથી યોજાશે

0
Social Share
  • યુવક મહોત્સવમાં 235માંથી 57 કોલેજે રજીસ્ટ્રેશન કરાવ્યું,
  • કૂલ 33 સ્પર્ધામાં ભારતીય લોક સંસ્કૃતિ ઝળકશે,
  • એક જ વર્ષમાં બે યુવક મહોત્સવ યોજાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 52મો યુવક મહોત્સવ આગામી તા, 17થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાશે. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે કરાશે. યુવક મહોત્સવ દરમિયાન 33 જેટલી સ્પર્ધાઓ યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ સાહિત્ય, કલા અને સંસ્કૃતિ વિભાગની સ્પર્ધાઓમાં ભાગ લઈ સૌરાષ્ટ્રની કાઠીયાવાડી તેમજ ભારતીય લોક સંસ્કૃતિની ઝાંખી કરાવશે. યુવક મહોત્સવમાં અંદાજે 1,500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. ત્યારે અત્યાર સુધીમાં 57 કોલેજોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ લીધા છે, જોકે હજુ રજીસ્ટ્રેશન માટે 3 દિવસ બાકી છે. ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ યુવક મહોત્સવમાં ભાગ લે તે માટે ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 52મો યુવક મહોત્સવ  આગામી 17થી 19 ઓક્ટોબર દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે યોજાશે.  જેમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધાઓ યોજાશે. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા દૂહા, છંદ, પ્રાચીન રાસ, લોકગીત, ભજન, હાલરડાં, શાસ્ત્રીય નૃત્ય સહિતની સ્પર્ધા યોજાશે. શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજનનારા યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલસિંહ ડોડિયા અને રજીસ્ટ્રાર ડૉ. રમેશ પરમાર ઉપરાંત સૌરાષ્ટ્રની અન્ય 3 યુનિવર્સિટીના કુલપતિને આમંત્રણ અપાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે પ્રથમ વખત એવું બનશે કે, એક જ વર્ષમાં 2 યુવક મહોત્સવ યોજાશે. વર્ષ 2023નો યુવક મહોત્સવ આ વર્ષે માર્ચ મહિનામાં યોજાયો હતો તો હવે વર્ષ 2024નો યુવક મહોત્સવ ઓક્ટોબરના અંતે યોજાશે. જોકે, દર વખતે યુવક મહોત્સવમાં ભાગ લેતા વિદ્યાર્થીઓના નિરસતા જોવા મળે છે. કારણ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દિગ્વિજય ગ્રામ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની 235 જેટલી કોલેજોમાં 3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમાંથી માંડ 50 જેટલી કોલેજો ભાગ લે છે. વિદ્યાર્થીઓના આકર્ષણ માટે યુનિવર્સિટી દ્વારા જૂની સ્પર્ધાઓની સાથે હાલના સમયને જોડતી ટેકનોલોજી આધારિત અવનવી સ્પર્ધાઓ લાવવામાં આવે તે જરૂરી છે. પરંતુ યુનિવર્સિટીના સ્થાપના કાળથી મોટાભાગે 33 જેટલી સ્પર્ધાઓ યોજાય છે. યુનિવર્સિટી સ્થિત અનુસ્નાતક ભવનોનાં અધ્યક્ષો અને માન્ય સંસ્થાઓના વડાઓના કહેવા મુજબ 52મા યુવક મહોત્સવના આયોજનનો હેતુ વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતાને ઓપ આપવાનો ઉદ્દેશ છે. આ યુવક મહોત્સવ (1) સાહિત્ય વિભાગ (2) કલા વિભાગ અને (3) સાંસ્કૃતિક વિભાગની આમ ત્રણ વિભાગની જુદી જુદી કુલ 33 સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ યુવક મહોત્સવમાં કોલેજ-સંસ્થામાં અને ભવનોમાં રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ભાગ લે તે ઈચ્છનીય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code