Site icon Revoi.in

શરદ પૂનમે દ્વારકાધિશને મયુરમુકુટ અને સોનાના આભૂષણોથી શૃંગાર કરાયો

Social Share

દ્વારકાઃ સુપ્રસિદ્ધ તિર્થસ્થાન દ્વારિકાધિશના દર્શન માટે રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેમાં દર પૂનમે સૌથી વધુ ભાવિકો શ્રીજીના દર્શન માટે આવે છે. શરદ પૂર્ણિમાંએ દ્વારકાધિશના દર્શન માટે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. જગતમંદિરમાં  શરદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જગતમંદિર પરિસરમાં  સાંજે સંધ્યા આરતી બાદ શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર કરાયો હતો. તેમજ બેટ દ્વારકા મંદિરે શ્રીજીને શ્વેત વાઘા પહેરાવાયા હતા. જગતમંદિરે પુજારીએ ગોપીવેશ ધર્યો હતો, અને  સંધ્યા આરતિ બાદ રાસોત્સવ, ગોપાલજી સ્વરૂપને દૂધ-પૌવાનો ભોગ ધરીને ઉત્સવ આરતી કરવામાં આવી હતી.

દ્વારકાના જગત મંદિરમાં રાજાધિરાજને સાંજના સમયે વિશેષરૂપે શ્વેત વસ્ત્રો, મસ્તક પરમયુરમુકુટ, સુવર્ણજડિત આભુષણો, ચોટી સહિતનો દિવ્ય શૃંગારધારણ કરાવવામાં આવ્યો હતો. સંધ્યા આરતી બાદ રાતે 8થી 10.30 સુધી જગતમંદિર પરિસરમાં રાસોત્સવ યોજાયો હતો. રાણીવાસમાં બિરાજતાં ઉત્સવ સ્વરૂપ એવા ગોપાલજી મહારાજને મંદિર પરિસરમાં ચંદ્રના પ્રકાશમાં બિરાજમાન કરાવી દૂધ પૌવાનો વિશેષ મહા ભોગ લગાવી ઉત્સવ આરતી કરવામાં આવી હતી. ગોપીભાવથી પુજારી દ્વારા ગોપીવેશ ધારણ કરવામાં આવ્યો હતો.

બુધવારે રાત્રિના સમયથી શરદ પૂર્ણિમાની તિથિ બેસી જતી હોય, બેટના દ્વારકાધીશ મંદિરમાં પણ આજે શરદ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બેટ દ્વારકાધીશ મંદિરે ઠાકોરજીને પરંપરા અનુસાર શ્વેત વાઘાના દેદિપ્યમાન શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા. જેના દર્શન મનોરથનો ઉપસ્થિત હજારો ભાવિકોએ લાભ લીધો હતો.