Site icon Revoi.in

હાથરસ ઘટના અંગે SIT એ રિપોર્ટ સોંપ્યો, યોગી સરકારે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં

Social Share

લખનૌઃ 2 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોના મોત થયા હતા. અકસ્માતના એક સપ્તાહની અંદર જ SITએ તપાસનો 300 પાનાનો  રિપોર્ટ સરકારને સોંપ્યો છે. આ રિપોર્ટ મંગળવારે મુખ્યમંત્રી યોગી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. SITના રિપોર્ટમાં નારાયણ હરી સાકર ઉર્ફે સૂરજપાલ (ભોલે બાબા)ના નામનો ઉલ્લેખ પણ નથી. તેમજ આયોજકો અને અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. કડક પગલાં લેતા યોગી સરકારે સિકંદરમાઉના એસડીએમ, સીઓ અને તહસીલદાર સહિત છ લોકોને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં આઉટપોસ્ટ ઈન્ચાર્જ કચૌરા અને આઉટપોસ્ટ ઈન્ચાર્જ પોરાનો સમાવેશ થાય છે.

નિવેદનમાં SITની તપાસના તથ્યો સાર્વજનિક કરવામાં આવ્યા છે, જે મુજબ તપાસ સમિતિએ નાસભાગમાં કોઈ પણ ષડયંત્રની શક્યતાને નકારી કાઢી નથી અને ઘટનામાં આયોજક અને તહસીલ સ્તરની પોલીસ તથા વહીવટીતંત્રને પણ દોષિત ઠેરવ્યા છે. એસઆઈટીની ભલામણ પર એસડીએમ, સીઓ, તહસીલદાર, ઈન્સ્પેક્ટર, ચોકીના ઈન્ચાર્જને તેમની જવાબદારીઓ નિભાવવામાં બેદરકારી બદલ જવાબદાર ઠેરવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2 જુલાઈના રોજ, હાથરસ જિલ્લાના ફુલરાઈ ગામમાં નારાયણ સાકર વિશ્વ હરિ તરીકે જાણીતા ‘ભોલે બાબા’ના સત્સંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં 121 લોકો માર્યા ગયા હતા અને અન્ય 31 લોકો ઘાયલ થયા હતા.

હાથરસની ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન નારાયણ હરી સાકર ઉર્ફે સૂરજપાલ (ભોલે બાબા) ભૂગર્ભમાં ઉતરી ગયાનું ચર્ચાય રહ્યું છે. હાથરસ દૂર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, આ અરજી ઉપર આગામી 12મી જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.