Site icon Revoi.in

પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય પર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, કોન્સ્ટેબલને ઈજા

Social Share

અમદાવાદઃ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપ અને આરએસએસ આખો હિન્દુ સમાજ નથી. એવા કરેલા નિવેદનના વિરોધમાં વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળના કહેવાતા હિન્દુવાદી કાર્યકર્તાઓએ અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર રાહુલ ગાંધીના ફોટા પર બ્લેક સ્પ્રે મારીને હુમલો કર્યો હતો. મોડી રાત્રે આ બનાવ બન્યો ત્યારે કોંગ્રેસના કાર્યાલયમાં પ્રદેશના નેતાઓ હાજર નહોતા. આ બનાવની જાણ થતાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ઊભો થયો હતો. દરમિયાન રાજીવ ગાંધી ભવન પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે સાંજે 4.30 વાગ્યે ફરીવાર કેસરી ખેસ સાથે કેટલાક કાર્યકર્તાઓનું ટોળુ કાંગ્રેસ કાર્યાલય પહોંચ્યુ હતુ.ત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ એકઠા થઈ ગયા હતા. ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્ર થતા વાતાવરણ તંગદીલ બન્યું છે. બન્ને પક્ષે પથ્થરો, દંડા સામસામે ફેંકવામાં આવ્યા છે. તેમજ કાચની બોટલો પણ ફેંકાઈ હતી. પથ્થરમારો થતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે. જેને 108 મારફત હોસ્પિટલ ખસેડાયો છે. ભાજપના કાર્યકરોએ જયશ્રી રામના નારા સાથે પથ્થરમારો શરૂ કર્યો હતો.

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચર્ચા દરમિયાન પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા. અને ભાજપ અને આરએસએસ આખો હિન્દુ સમાજ નથી. એમ કહ્યું હતું. આથી રાહલ ગાંધીના આ નિવેદમ સામે ભાજપે હિન્દુઓનું અપમાન કહીને માફીની માગણી કરી હતી. દરમિયાન અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના કહેવાતા હિન્દુવાદી કાર્યકર્તાઓએ મોડીરાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ધમાલ કરી હતી.  રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટ્યો હતો તેમજ બેનરો ફાડ્યાં હતાં. જો કે આ બનાવ અંગે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, ભાજપના કોઈ કાર્યકરે આવી પ્રવૃત્તિ કરી હોય એવું ધ્યાને આવ્યું નથી.

કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો રોષ સાથે પહોંચી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. તેમજ વહેલી સવારે રાજીવ ગાંધી ભવન સામે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે પહોંચ્યા હતા. આ અંગે કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને સંસદમાં નિવેદન આપ્યું હતું કે, હિન્દુ હુમલાખોર નથી હોતા. ભગવાન શંકરને પ્રથમ વખત સંસદમાં રાહુલ ગાંધી લઈ ગયા હતા અને તેમની આરાધના કરી હતી. આજે વહેલી સવારે કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે. અડધી રાતે માત્ર ચોકીદાર અને તેમનો પરિવાર હતો. ત્યારે VHP અને બજરંગદળના કાર્યકરોએ હુમલો કર્યો છે. ચોકીદારની પત્ની અને સગર્ભા દીકરી પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ જોડે અમે આ મામલે ચર્ચા કરી કાયદેસરની કાર્યવાહી કરીશું. મારું એટલું કહેવું છે કે, દિવસે આવો તલવાર, બંદૂક જે પણ હથિયાર લઈને આવવું હોય તે લઈને આવો. અમારી પાસે સત્ય અને અહિંસાનાં હથિયાર છે. અમે ડરતા નથી, અમે સત્યની સાથે છીએ. અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. નકલી હિન્દુત્વની વાતો કરનારા લોકો પાસેથી અમારે સર્ટિફિકેટની જરૂર નથી.

કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે રાતે બજરંગ દળ અને VHPના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં ગેટ કૂદીને પ્રવેશ કર્યો હતો. બનાવની જાણ થતાં કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં જઈને ફાટેલાં પોસ્ટર અને બેનર હટાવવામાં આવ્યાં છે. તેમજ પેઇન્ટ કરેલા બેનર પર સફેદ સ્પ્રે મારવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના જે ફોટા પર સ્પ્રે મારવામાં આવ્યો છે તે ફોટા પણ હટાવી લેવામાં આવ્યા છે. પોલીસને જાણ થતાં કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  કોંગ્રેસ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.