Site icon Revoi.in

એસટીની 20 નવીન હાઈ ટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું

Social Share

 ગાંધીનગરઃ  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં ૨૦ નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.  મંત્રી એ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઇ ગઈ છે. આ અધતન ટેક્નોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગરથી સુરત માટે  આઠ બસો, અમદાવાદ નેહરુનગર થી વડોદરા ખાતે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે.

વધુમાં  હર્ષભાઈ સંઘવીએ  નવીન  બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન, અને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે.  બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને 250 લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરીકો સુરક્ષિત બહાર આવી શકશે. સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં 47 સીટીંગ કેપેસીટી, 2×2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, સી.સી.ટી.વી કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઇ.ડી. ટી.વી, એકઝોસ્ટ ફેન સાથેના હેચ, ઇમર્જન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય  જયંતિભાઈ પટેલ, કલોલ ધારાસભ્ય  લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક  અનુપમ આનંદ સહિત એસ.ટી. વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.