Site icon Revoi.in

M S યુનિવર્સિટી સલગ્ન લો ફેક્લ્ટી પાસે બાર કાઉન્સિલની માન્યતા ન હોવાને મુદ્દે વિરોધ

Social Share

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સંલગ્ન લો ફેકલ્ટી પાસે  બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માન્યતા જ નહીં હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટીમાં ભારે હંગામો મચાવીને ડીનની ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા.

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં મારામારીની ઘટના બાદ લો ફેકલ્ટીમાં પણ મારામારીની ઘટના બની હતી. લો ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિયેશનના વિદ્યાર્થીઓ સનદના મુદ્દે લો ફેકલ્ટીને તાળાબંધી કરી રહ્યા હતા. તે સમયે એબીવીપીના કાર્યકરો આવી જતાં બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી થઈ હતી. જો કે, સ્થળ પર હાજર ફતેગંજ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. લો ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિયેસનના કાર્યકરો મોટી સંખ્યામાં લો ફેકલ્ટી ખાતે પહોંચ્યા હતા અને ડીનની સામે નારા લગાવ્યા હતા અને લો ફેકલ્ટીના ડીન હાજર ન હોવાથી વિદ્યાર્થીઓએ દિવાલો પર ઠેર-ઠેર ડીન મિસિંગના પોસ્ટર લગાવ્યા હતા. આ ઉપરાંત “લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરો” આવા પોસ્ટર પણ દિવાલ પર લગાવ્યા હતા અને વિદ્યાર્થીઓ લો ફેકલ્ટી પરસિરમાં રામધૂન બોલાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો.

લો ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિએશનનુ કહેવુ હતુ કે, કોઈ પણ લો કોલેજ પાસે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માન્યતા હોવી જરૂરી છે. સમયાંતરે આ માન્યતાને રીન્યૂ કરાવવામાં આવતી હોય છે. આ માન્યતા હોય તો જ જે તે કોલેજમાંથી ડિગ્રી લેનારા વિદ્યાર્થીને વકીલાત કરવા માટે સનદ મળતી હોય છે. જો સનદ ના મળે તો ડિગ્રી હોવા છતા વિદ્યાર્થી ભારતમાં કોઈ પણ જગ્યાએ વકીલાત કરી શકે નહીં અને તેમનુ ભાવિ અંધકારમય બની શકે છે. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પરના લિસ્ટમાં એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીની માન્યતા 2020માં પૂરી થઈ ગઈ હતી.એ પછી પણ હજી સુધી ફેકલ્ટી દ્વારા માન્યતા રીન્યૂ કરાવ્યા વગર જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને તેના કારણે લો ફેકલ્ટીમાંથી ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓને આગળ મુશ્કેલી પડી શકે છે.