1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરતે હાંસલ કર્યો પ્રથમક્રમ, શનિવારે જયપુરમાં એવોર્ડ અપાશે
ભારતમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરતે હાંસલ કર્યો પ્રથમક્રમ, શનિવારે જયપુરમાં એવોર્ડ અપાશે

ભારતમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરતે હાંસલ કર્યો પ્રથમક્રમ, શનિવારે જયપુરમાં એવોર્ડ અપાશે

0
Social Share
  • સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં 131 શહેરોને પછાડી સુરતે 200માંથી 194 માર્ક્સ મેળવ્યા,
  • સુરત મ્યુનિને દોઢ કરોડની ધનરાશી, ટ્રોફી અને પ્રમાણપત્ર મળશે,
  • વર્ષ 2023માં સુરતે 13મો ક્રમ મોળવ્યો હતો

સુરતઃ  દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનારા સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરત શહેરએ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

સુરત શહેર સૌથી ઝડપી વિકસિત થતા શહેર હોવા ઉપરાંત વર્ષ 2023-24માં PM10 ના રજકણોમાં 12.71 ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. ગત વર્ષ 2023માં યોજાયેલા ‘સ્વચ્છ વાયુ સુર્વેક્ષણ’માં સુરત શહેરને 13મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું. 2023માં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ, પગલાઓ અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત કુલ 200માંથી 194 ગુણ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે

સુરતની આ સિદ્ધિ બદલ આગામી તા.૦7 સપ્ટે.ના રોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સભારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે રૂા.1.5 કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુ. કમિશનરને અર્પણ કરાશે.  મેયર દક્ષેશ માવાણીએ પણ સુરત શહેરને શ્રેષ્ઠ બનાવવા સંકલ્પિત થઈ સૌ સુરતવાસીઓને સાથ સહકાર બદલ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.

મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમા નં.1 બનાવવા બદલ શહેરના નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે, અને આ સફળતામાં સાથ-સહકાર આપવા બદલ શહેરીજનોનો આભાર વ્યક્ત કરી આ નાગરિકોની સિદ્ધિ હોવાનું જણાવ્યું હતું.

 ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન–એટેન્મેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણોમાં 30 % ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વર્ષ 2019 માં ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ’ની નવી પહેલ શરૂ કરવામાં આવી હતી. શહેરોનું મુલ્યાંકન મુખ્યત્વે 08 પરિબળોને આધારે થાય છે. જેમાં ઘનકચરાનું વ્યવસ્થાપન, રોડ ડસ્ટ, બાંધકામ અને ડિમોલીશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન, જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિમાણો સામેલ હોય છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ગત 04 થી 05 વર્ષના સમયગાળા દરમ્યાન હવાની ગુણવત્તા સુધારવાના ભાગરૂપે લગભગ રૂા.5000 કરોડ જેટલી માતબર રકમના વિવિધ પ્રોજેકટસ અમલી બનાવ્યા છે. જેમાં મિકેનીકલ સ્વીપર મારફતે રસ્તા પરની આશરે વાર્ષિક ધોરણે 4200 મેટ્રિક ટન ધૂળને દૂર કરવાની કામગીરી, 100% ઘરોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે પરંપરાગત વાહનોને બદલે 35 % જેટલા ઈ–વ્હીકલનો ઉપયોગ કરી કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં આશરે 7000 મેટ્રિક ટનનો વાર્ષિક ઘટાડો થયો છે. શહેરીજનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ટેક્ષના દરમાં લાભો આપી કુલ 50 ઈલેકટ્રીકલ ચાર્જીંગ,ઓટોમેટિક ટેસ્ટીંગ સ્ટેશન અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ ઉભી કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code