Site icon Revoi.in

જમ્મુના કઠુઆમાં ફરી એકવાર ભારતીય સેના ઉપર આતંકવાદી હુમલો

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી આતંકવાદી પ્રવૃતિઓ વધવા લાગી હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેના પર હુમલો થયો છે. જમ્મુના કઠુઆમાં બિલવરના ધડનોટા વિસ્તારમાં આતંકીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો, જેનો સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, આતંકવાદીઓ એક ગ્રેનેડ લઈને આવ્યા હતા અને સેનાના વાહનને ઉડાડવાના ઈરાદાથી તેને ફેંક્યા હતા અને પછી ફાયરિંગ શરૂ કર્યું હતું.

આતંકવાદીઓએ લોઇ મરાડ ગામ પાસે સેનાના વાહન પર હુમલો કર્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ વિસ્તારને ઘેરી લીધો અને આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હાલમાં કઠુઆ જિલ્લાના મછેડી વિસ્તારના ધડનોટા ગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો ચોક્કસ ખતરા માટે વિસ્તારની શોધખોળ ચાલુ રાખી છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય સેનાના 9મી કોર્પ્સ હેઠળના વિસ્તારમાં ભારતીય સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓના ગોળીબાર બાદ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ સાથે વધારાના સુરક્ષા દળોને પણ મોકલવામાં આવ્યા છે.