Site icon Revoi.in

ભાજપા અને તેલુગુ દેશમ પાર્ટી વચ્ચે એનડીએ સરકારમાં કેબિનેટને લઈને સમજુતી

Social Share

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે દેશમાં નવી સરકારની રચનાને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. દરમિયાન તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) વચ્ચે સરકાર બનાવવા માટે સમજૂતી થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NDAના આ બે ઘટક પક્ષો વચ્ચે કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ અને બે કેન્દ્રીય રાજ્ય મંત્રી (MoS)ના પદ પર સમજૂતી થઈ છે.

લોકસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે અને ભાજપના નેતૃત્વ હેઠળના NDA જૂથે બહુમતીના જાદુઈ આંકડાને પાર કરી લીધો છે. આવી સ્થિતિમાં જોડતોડનું ગણિત જોવા મળી રહ્યું છે. ઈન્ડી ગઠબંધન પણ સતત એનડીએને હરીફાઈ આપી રહ્યું છે અને એનડીએના સહયોગીઓને ઓફર કરી રહ્યું છે, જેના કારણે રાજકીય ઉથલપાથલ વધી રહી છે. કોની ગઠબંધન સરકાર બનશે તે અંગે સસ્પેન્સ સર્જાયું હતું. જો કે, નિવેદનો અને તાજેતરની રાજકીય ઘટનાઓને કારણે સસ્પેન્સના વાદળો દૂર થતા જણાય છે.

દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પરના વડા પ્રધાનના આવાસ પર 5 જૂને NDAની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થનનો પત્ર ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને સુપરત કર્યો હતો અને નરેન્દ્ર મોદીને NDAના નેતા તરીકે સ્વીકાર્યા હતા. આ પછી, સરકારની રચનાને લઈને સ્થિતિ સ્પષ્ટ થતી જણાઈ રહી હતી, પરંતુ એવી અટકળો પણ થઈ રહી હતી કે કેબિનેટને લઈને કોઈ સમસ્યા થઈ શકે છે. હવે જો એનડીએના બીજા સૌથી મોટા ઘટક ટીડીપીને તેમની ઈચ્છા મુજબ મંત્રાલય મળે અને માંગણીઓ પુરી થાય તો નરેન્દ્ર મોદી માટે ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ જણાઈ રહ્યો છે.