Site icon Revoi.in

બાંગ્લાદેશની પરિસ્થિતિ ઉપર ભારત સરકાર સતત નજર

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને લઈને તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

બેઠકમાં એ વાત સામે આવી છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પ્રધાનમંત્રી મોદીને ભારત આવેલા શેખ હસીના સાથેની તેમની મુલાકાત વિશે માહિતી આપી હતી. તે જ સમયે, બાંગ્લાદેશની તાજેતરની રાજકીય સ્થિતિ અને ત્યાં ચાલી રહેલી હિંસા પર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાય છે. બાંગ્લાદેશમાં બગડતી રાજકીય પરિસ્થિતિ અને હિંસા બાદ શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો છે.

હિંસક વાતાવરણ બાદ શેખ હસીના આર્મી પ્લેનમાં દેશ છોડીને ભારત આવી ગયા છે. તેમનું વિમાન દિલ્હી નજીક ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પર ઉતર્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે હિંડન એરબેઝની મુલાકાત લીધા બાદ જ શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી બંને વચ્ચેની બેઠકમાં બાંગ્લાદેશની સ્થિતિ અને શેખ હસીનાની ભવિષ્યની યોજનાઓ પર પણ ચર્ચા થઈ હતી. શેખ હસીના લંડન કે અન્ય કોઈ યુરોપિયન દેશમાં જઈ શકે છે.