Site icon Revoi.in

મોરેશિયસની જનતા હવે ભારતના પ્રથમ જન ઔષધિ કેન્દ્રમાંથી સસ્તી દવાઓ મેળવી શકશે

Social Share

નવી દિલ્હીઃ મોરેશિયસમાં ભારતના પ્રથમ જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે કર્યું છે. હવે અન્ય દેશોના લોકો પણ જન ઔષધિ કેન્દ્રમાંથી સસ્તી દવાઓ મેળવી શકશે. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ પણ હાજર રહ્યાં હતા. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, વિદેશ મંત્રી ડૉ. જયશંકરે કહ્યું કે આ દવા કેન્દ્રની સ્થાપનાનું વચન આ વર્ષની શરૂઆતમાં પીએમ મોદીએ કર્યું હતું, જે હવે પૂરું થયું છે. તેમણે કહ્યું કે ભારત-મોરેશિયસ હેલ્થ પાર્ટનરશિપ પ્રોજેક્ટ હેઠળ, જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારીને પ્રોત્સાહન આપવા ભારતમાં ઉત્પાદિત સસ્તું દવાઓ સપ્લાય કરવામાં આવશે.

આ પહેલા વિદેશ મંત્રી ડૉ .જયશંકરે મોરેશિયસના ગ્રાન્ડ બોઆ વિસ્તારમાં ભારતીય નાણાકીય સહાયથી બનેલા મેડિકલીનિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમને આ પ્રોજેક્ટને પરસ્પર મિત્રતાની નવીનતમ અભિવ્યક્તિ ગણાવી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે મેડિક્લિનિક શરૂ થવાથી ગ્રાન્ડ બોઆ વિસ્તારમાં 16 હજાર લોકોને નિષ્ણાત સારવાર સેવાઓ મળશે. આના પર ગર્વ અનુભવતા વિદેશ મંત્રીએ કહ્યું કે સ્વાસ્થ્ય આપણા બધા માટે પ્રાથમિકતાનું ક્ષેત્ર છે અને આપણે બધા તેનાથી વાકેફ છીએ.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મોરેશિયસ ‘જન ઔષધિ યોજના’ અપનાવનાર પહેલો દેશ બન્યો, જે ભારતના ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ બ્યુરોમાંથી લગભગ 250 ઉચ્ચ ગુણવત્તાની દવાઓના સોર્સિંગની મંજૂરી આપે છે. આનાથી મોરેશિયસના લોકોને મોટા પાયે ફાયદો થઈ રહ્યો છે અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને પણ વેગ મળી રહ્યો છે.