Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદ પર પ્રોફેસરે કવિતા લખતા કૂલસચિવે ફટકારી નોટિસ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. યુનિવર્સિટીનું ખટપટી રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. રોજબરોજ નવા વિવાદો સર્જાતા જાય છે. તાજેતરમાં આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભદાસે 33 કરોડની છેતરપિંડી આચર્યાના આરોપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાનું નામ ખુલ્યા બાદ કટાક્ષનો મારો શરૂ થયો છે. આ કેસને લઈને ગુજરાતી ભવનના વડા મનોજ જોષીએ પોતાના મનની લાગણી વ્યક્ત કરીને કવિતા લખી છે. જે કવિતા સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવે મનોજ જોશીને 3 દિવસમાં ખુલાસો આપવા સાથેની નોટિસ ફટકારી છે.

રાજકોટની આત્મીય કોલેજના ત્યાગ વલ્લભદાસ સ્વામી અને ટ્રસ્ટીઓ સહિત ચાર લોકો સામે થયેલી 33 કરોડથી વધુની છેતરપિંડી કેસમાં તપાસ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાનું પણ નામ ખૂલતા તેઓએ આગોતરા જામીન અરજી કરી હતી. આ ચકચારી પ્રકરણ ચર્ચામાં આવતાની સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના વડા મનોજ જોષીએ કોઈ જ સીધા નામનો ઉલ્લેખ કર્યા વિના ધારદાર કટાક્ષ કરતી કવિતા લખી હતી. જે વાઇરલ થતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કવિને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવે ગુજરાતી ભવનના વડાને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ તા. 24.06.2023ના રોજ એક કવિતા વાઈરલ થયેલ છે. જે કવિતાના અંતે આપનું નામ લખાયેલું છે. આથી નિયમો અને યુનિવર્સિટીના ઓર્ડિનન્સ- 205 (રિવાઈઝ્ડ) કોડ ઓફ કન્ડક્ટમાં દર્શાવ્યા મુજબ જે સ્થળે કર્મચારી ફરજ બજાવતા હોય તે સંસ્થા વિરુદ્ધ કાંઈ લખી શકાય નહીં. આ અંગે સ્પષ્ટતા સાથેનો ખુલાસો 3 દિવસમાં કુલસચિવને મોકલી આપવા જણાવાયું છે.