Site icon Revoi.in

ગુજરાતમાં 1903 સ્ટાફ નર્સની સીધી ભરતી થશે

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફનર્સની ભરતી કરીને નિમણૂંક કરવામાં આવનાર છે. આ જગ્યાઓ માટે તા. 5 ઑક્ટોબર બાદ ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. OJAS પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડૉક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે. ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂંક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં 10 વર્ષ પહેલા સ્ટાફનર્સ વર્ગ- 3ની કુલ – 7785 જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યાઓ મંજૂર છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 77312 સ્ટાફ નર્સ વર્ગ-3ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે. સ્ટાફનર્સની બઢતી / વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.