Site icon Revoi.in

મરાઠી, બંગાળી સહિતની આ ભાષાઓને મળ્યો શાસ્ત્રીય ભાષાનો દરજ્જો

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એનડીએ સરકારની આપણી સંસ્કૃતિને આગળ ધપાવવાની ફિલસૂફીને અનુરૂપ છે, આપણા વારસા પર સૌને ગર્વ હોવો જોઈએ. ભારતીય ભાષાઓ અને આપણા સમૃદ્ધ વારસાને અનુરૂપ છે.

PM મોદીએ ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘X’ પર એક પછી એક અનેક પોસ્ટ કરીને આ ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમની આગેવાની હેઠળની સરકાર પ્રાદેશિક ભાષાઓને લોકપ્રિય બનાવવાની પ્રતિબદ્ધતામાં અડીખમ છે. આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ ‘X’ પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરી અને કહ્યું કે આ બધી ભાષાઓ સુંદર છે અને દેશની જીવંત વિવિધતાને રેખાંકિત કરે છે. આ માટે દરેકને અભિનંદન આપતાં તેમણે કહ્યું હતું કે, “અમારી સરકાર ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિનું મૂલ્ય ધરાવે છે અને ઉજવણી કરે છે. અમે પ્રાદેશિક ભાષાઓને લોકપ્રિય બનાવવાની અમારી પ્રતિબદ્ધતામાં પણ અડીખણ ઊભા છીએ.”

મરાઠી ભાષાને અભૂતપૂર્વ અને ભારતનું ગૌરવ ગણાવતા તેમણે મહારાષ્ટ્રના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, “આ સન્માન આપણા દેશના ઈતિહાસમાં મરાઠીના સમૃદ્ધ સાંસ્કૃતિક યોગદાનને માન્યતા આપે છે. મરાઠી હંમેશા ભારતીય વારસાનો પાયો રહ્યો છે. મને વિશ્વાસ છે કે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ઘણા લોકોને તે શીખવા માટે પ્રેરિત કરશે.” ” તેમણે કહ્યું કે, આસામી સંસ્કૃતિ સદીઓથી ખીલી છે અને દેશને સમૃદ્ધ સાહિત્યિક પરંપરા આપી છે. તેમણે કહ્યું, “હું ઈચ્છું છું કે આ ભાષા આવનારા સમયમાં વધુ લોકપ્રિય બને. મારા અભિનંદન.”

બાંગ્લા એક મહાન ભાષા

બંગાળી ભાષાને મહાન ભાષા ગણાવતા તેમણે કહ્યું કે દુર્ગા પૂજાના શુભ મુહૂર્તમાં તેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો તે ખુશીની વાત છે. પીએમ મોદીએ કહ્યું, “બંગાળી સાહિત્યે વર્ષોથી અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. હું આ માટે વિશ્વભરના તમામ બંગાળી ભાષીઓને અભિનંદન આપું છું અને પાલી અને પ્રાકૃત ભાષાને ભારતની સંસ્કૃતિના મૂળમાં ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ આધ્યાત્મિકતા, જ્ઞાન અને ફિલસૂફીની ભાષાઓ પણ છે, તેમણે કહ્યું, “આ ભાષાઓ તેમની સાહિત્યિક પરંપરાઓ માટે પણ જાણીતી છે. શાસ્ત્રીય ભાષાઓ તરીકેની તેમની માન્યતા એ ભારતીય વિચાર, સંસ્કૃતિ અને ઇતિહાસ પરના તેમના કાલાતીત પ્રભાવને શ્રદ્ધાંજલિ છે.”