1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં મેટ્રોની ધીમી કામગીરી સામે વેપારીઓએ મોરચો માંડ્યો
સુરતમાં મેટ્રોની ધીમી કામગીરી સામે વેપારીઓએ મોરચો માંડ્યો

સુરતમાં મેટ્રોની ધીમી કામગીરી સામે વેપારીઓએ મોરચો માંડ્યો

0
Social Share
  • મેટ્રોને કારણે વેપારીઓની દિવાળી બગડશે,
  • મસ્કતી હોસ્પિટલ નજીકનો માર્ગ મહિનાઓથી બંધ હોવાથી વેપારીઓ પરેશાન,
  • વેપારીઓએ ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું

સુરતઃ  શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીથી હવે વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. બ્રિજની કામગીરીથી રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. તો કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આથી બંધ કરાયેલા રોડ પરના દુકાનદારોના ધંધા પર માઠી અસર પડી છે. મહિનાઓથી વેપારીઓ ઘરાકી વિના દુકાનોમાં નવરા બેસી રહ્યા છે. મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસના વેપારીઓની ધીરજ ખૂટી રહી છે. મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. આ માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનો અને વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા હોવાથી વેપારીઓમાં આક્રોશ છે. તેના કારણે આ વેપારીઓએ આજે ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તો ખોલી આપો અથવા વળતર આપોની માંગણી કરી હતી.

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી શરૂ થઈ ત્યારથી જ શહેરીજનો માટે એક બાદ એક આફત ઉભી થઈ રહી છે. મેટ્રોની કામગીરી ચાલે છે તેમાં એક પછી એક અકસ્માતોના બનાવો બન્યા છે. અને તેના કારણે  મેટ્રોની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. આ ઉપરાંત મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી વેપારીઓ હવે અકળાઈ રહ્યાં છે. મેટ્રોની કામગીરીથી અનેક રસ્તાઓ  બિસ્માર બન્યો છે તે વિવાદ ઉભો થાય તે પહેલાં હવે મેટ્રોના અસરગ્રસ્ત વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે.  શહેરના કોટ વિસ્તારમાંથી પસાર થતી મેટ્રો માટે મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. તે સાથે જ મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનોનો વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. પહેલા વળતર આપવામાં આવ્યું હતું હવે વળતર પણ અપાતું નથી અને રોજગાર બંધ હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે.  આ વિસ્તારના વેપારીઓ દ્વારા પોતાની સમસ્યા દુર કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ સમસ્યાનો હલ આવ્યો નથી. રજૂઆત બાદ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્ને વિવાદ ઉભો થયો છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે મસ્કતી હોસ્પિટલ પાસે મેટ્રો કામગીરી શરૂ થઇ હોય પહેલા વેપારીઓ સાથે 10 મહિનાનું એમઓયુ કરાયું હતું અને વળતર ચૂકવાશે એવી ખાતરી અપાઈ હતી. ત્યારબાદ કામ પૂરું ન થતાં બીજા 9 મહિનાનું એમઓયુ કરાયું હતું. 19 મહિના બાદ ચારેય બાજુ કમ્પાઉન્ડ વોલ એટલે કે ડી-વોલ બનાવવાની વાત કરવામાં આવી હતી. જોકે, હવે માત્ર ટાવરની બાજુ જ કમ્પાઉન્ડ વોલ બનાવી છે. આ ઉપરાંત આખો રસ્તો ખોલવાની જગ્યાએ મેટ્રો દ્વારા માત્ર ત્રણ મીટરનો રસ્તો ખોલવામાં આવ્યો છે. જેના કારણે ગ્રાહકો પણ આવી શકતા નથી અને વળતર આપવા માટે પણ મનાઈ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વેપારીઓના વેપાર ધંધા મૃતપાય થઈ ગયાં છે વેપારીઓની રજુઆત સાંભળવામાં આવતી ન હોવાથી વેપારીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code