Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ: ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ, 4 ના મોત

Social Share

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં ફટાકડાના વેરહાઉસમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ વર્ષની બાળકી અને એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા વિસ્તારમાં સ્થિત એક ફેક્ટરીમાં સોમવારે રાત્રે થયેલા અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે.

તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ્રા રેન્જના આઈજી દીપક કુમારે જણાવ્યું હતું કે, શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં ફટાકડા રાખવામાં આવ્યા હતાં અને ત્યાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે નજીકના એક મકાનની છત પડી ગઈ હતી. પોલીસે કાટમાળમાંથી 10 લોકોને બહાર કાઢ્યા હતાં. તો છ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ચાર લોકોના મોત થયા છે.

પોલીસે જણાવ્યું કે વિસ્ફોટના કારણે ઘર ધરાશાયી થયું છે અને કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આઈજી દીપક કુમારે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની એક ટીમ રાહત કાર્યમાં ખડેપગે છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 10.30 વાગ્યે ફટાકડાના વેરહાઉસમાં અચાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે બિલ્ડિંગની દિવાલો પડી ગઈ હતી અને તેમાં રહેતા એક જ પરિવારના લગભગ સાત લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતાં.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે SDRF ની ટીમ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે, જેથી રાહત અને બચાવ કામગીરી ઝડપી કરી શકાય. તે દરમિયાન ફિરોઝાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ રમેશ રંજને જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલી રહી છે. બચાવ ટીમ ઘટનાસ્થળે હાજર છે. બંને જિલ્લા હોસ્પિટલ અને ઉપ-જિલ્લા હોસ્પિટલ હાઈ એલર્ટ પર છે. ડૉક્ટરોની ટીમ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર ટીમો, તમામ સ્થળ પર હાજર છે.