Site icon Revoi.in

શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતો બન્યા બેહારઃ પુરતા ભાવ નહીં મળતા રસ્તા ઉપર ફેંકવા મજબુર

Social Share

રાજકોટ : ગુજરાતમાં ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની ફરિયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. જેમાં હાલ શાકભાજીના ભાવમાં ખૂબજ ઘટાડો થતાં ખેડુતોને મજુરીના પૈસા પણ નથી નિકળતા બીજીબાજુ ગ્રાહકોને તો સસ્તા શાકબાજી મળતા નથી પણ વચ્ચેની મલાઈ એજન્ટો, દલાલો ખાઈ જતાં હોય છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ છ દિવસ બંધ રહ્યા બાદ આજે પુનઃ ધમધમતા થયા હતા અને રાત્રિથી જ ખેડૂતો દ્વારા જણસી ભરેને આવી પહોચ્યા હતા. સવારથી વહનોની કતારો લાગી હતી. પરંતુ છ દિવસ બાદ ખૂલેલા માર્કેટમાં ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સાવ નાંખી દેવાય તેવા ભાવે મહેનતથી ઉગાડેલી શાકભાજી વેચાઈ હતી. યાર્ડમાં દૂધી 1 રૂપિયે કિલો તથા ટિંડોડા, ગલકાં, કારેલા, ભીંડા, કોબીજ અને રીંગણા સસ્તા ભાવે વેચાયા હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ જન્માષ્ટમીનો તહેવાર હોવાથી પાંચ દિવસથી માર્કેટ યાર્ડ બંધ હતા. જે ખુલતાની સાથે શાકભાજીની ધૂમ આવક થવા સાથે તેના ભાવમાં પણ કડાકો બોલાયો હતો. આજે રાજકોટ યાર્ડમાં દૂધી રૂપિયા 1 થી 3 ના કિલોના ભાવે વેચાયા. તો કોબીજ, ભીંડા, ટીંડોળા, કારેલા, ગલકા, લીલી મકાઈ વગેરે પ્રતિ 20 રૂપિયા કિલોથી 100 રૂપિયાથી નીચા ભાવે વેચાયા હતા. એકંદરે શાકભાજી 3થી 8 રૂપિયાના કિલોના લેખે સોદા થયા હતા. જો કે શાકભાજી જ્યારે ફેરિયા દ્વારા માર્કેટમાં પહોંચે ત્યારે તે અનેકગણા ભાવ કરી દેતા હોય છે. શાકભાજીના ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષ જોવા મળ્યો હતો. જેથી જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ઓછો ભાવ મળતા શાકભાજી ફેંકી દેવી પડે તેવી સ્થિતિ સામે આવી હતી. જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેંકી દીધા હતા. એક તરફ શાકભાજીની પુષ્કળ આવક થઈ છે, તો બીજી તરફ તેની સામે ખેડૂતોને પૂરતો ભાવ નથી મળી રહ્યો. શાકભાજી 1 થી 2 રૂપિયે પ્રતિ કિલો વેચાતા હોવાથી ખેડૂતોમાં રસ્તા પર શાકભાજી ફેંકી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે ખેડૂતો પાસેથી 2 કે 4 રૂપિયે 1 કિલોના ભાવે ખરીદેલું શાક જ્યારે શહેરોના માર્કેટમાં આવે છે ત્યારે તેની કિંમત 20 રૂપિયા નું 250 ગ્રામ થઈ જાય છે. શાકના 10 ગણા કરતા પણ વધારે ભાવ વધી જાય છે. શાક ખરીદવા આવનાર ગ્રાહકનું પણ કહેવું છે કે શાકભાજીના ભાવ વધારે છે અને હવે તે મોંઘા બની ગયા છે. જ્યારે વેપારીઓ પણ કહી રહ્યા છે કે તેમને શાક મોંઘું પડી રહ્યું છે. સાથે જ શાકની શૉટેજ છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે વચેટિયાઓને ફાયદો થઈ રહ્યો છે. વચેટિયાઓના કારણે ખેડૂતો અને ગ્રાહકોને નુકસાન થઇ રહ્યું છે.