Site icon Revoi.in

શાંતિ, સ્વાસ્થ્ય અને વિકાસ માટે યોગ જરૂરી : નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેતા વિશ્વભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મને યોગ અને ધ્યાનની ભૂમિ કાશ્મીરમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. યોગ આપણને શ્રીનગરમાં જે શક્તિ આપે છે તે આપણે અનુભવી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. યોગ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, દસ વર્ષ પહેલા મેં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના પ્રસ્તાવને 177 દેશોએ સમર્થન આપ્યું હતું, જે પોતાનામાં એક રેકોર્ડ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. વિશ્વના નેતાઓ હવે યોગ વિશે વાત કરી રહ્યા છે. પર્યટનમાં યોગ એ એક નવો ટ્રેન્ડ છે. યોગ પ્રત્યે લોકોની જાગૃતિ વધી છે અને યોગ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ સાથે યોગ શિક્ષકોની માંગ પણ વધી છે. યોગથી સકારાત્મકતા વધે છે. શાંતિ, સ્વાસ્થ્ય અને વિકાસ માટે પણ યોગ મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા. આ દરમિયાન મોદીએ ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં યુવા સશક્તિકરણ, પરિવર્તન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરને લગભગ 3300 કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવી હતી. આ સાથે 2000 થી વધુ લોકોને સરકારી સેવાઓ માટે નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા હતા.